03 July 2014

ઘરેણાં કાનથી નીચે જ કેમ પહેરાય છે? SOMETHING IN GUJARATI -WHY ORNAMENTS ARE WEARED BELOW EAR

પ્રાચીનકાળમાં ઋષિ-મુનિઓના આશ્રમની આસપાસના વાતાવરણમાં એવો પ્રભાવ જોવા મળતો કે હિંસક પ્રાણીઓની હાજરીમાં પણ હરણ જેવાં પ્રાણીઓ બનીને ફરી શકતાં. વિજ્ઞાન દ્વારા હવે એ સિદ્ધ થઇ ચૂક્યું છે કે મનુષ્યના શરીરમાં રહેલા જૈવવિદ્યુતનો પ્રભાવ માત્ર ચૈતન્ય પ્રાણીઓ ઉપર જ નહીં, જડ અથવા નિર્જીવ ગણાતા પદાર્થો પર પણ પડે છે.

મનુષ્યની હાજરીને કારણે જે મકાનનું વાતાવરણ ઉષ્માભર્યું લાગે છે એ જ મકાનને જો લાંબો સમય વપરાશ વગર મૂકી રાખવામાં આવે તો અકાળે વૃદ્ધ બની જતા વ્યક્તિના જેવી આ મકાનની પણ હાલત થાય છે. બહુ ઓછા સમયમાં તે જર્જરિત બની જાય છે, જ્યારે વસવાટ ધરાવતાં મકાન જલદી ખરાબ થઇ જતાં નથી. વાસ્તવિકતા વિચારીએ તો જે મકાનનો વપરાશ થાય છે તે જલદી જીર્ણ બની જવું જોઇએ. જેમ કોઇ વસ્તુ વપરાયા વગર પડી રહે તો વધારે દિવસ ચાલે છે તેવું મકાનની બાબતમાં નથી.

વૈજ્ઞાનિકો આનું કારણ શરીરમાં રહેલી જૈવ વિદ્યુતના ચમત્કારને માને છે. પરીક્ષણો દ્વારા એવું જાણવા મળ્યું છે કે મનુષ્યના શરીરમાં રહેલી વિદ્યુતશક્તિ જડ પદાર્થોમાં પણ બળનો સંચાર કરે છે. મકાનમાં લાંબો સમય રહેવાથી તેના માલિકના વિચારો પણ વાતાવરણમાં ગુંજવા લાગે છે. ઘરમાં જેવી પ્રકૃતિના લોકો રહેતા હોય છે તેમના વિચારોની શ્રૃંખલા દ્વારા એવા જ પ્રકારની પ્રાણઊર્જા વિદ્યુતીય આભાના રૂપમાં તે સ્થાનની આજુબાજુ ફેલાઇ જાય છે. પછી જો આ મકાન ખાલી કરી દેવામાં આવે તો પણ લાંબા સમય સુધી તેમાં નિવાસ કરનારા લોકોના ગુણ-સ્વભાવની છાપના સંસ્કાર આ મકાનના વાતાવરણમાં જોવા મળે છે.
 અધ્યાત્મવિદ્યા દ્વારા વાતાવરણનો અભ્યાસ કરનારા જિજ્ઞાસુઓ કોઇ મકાનમાં પ્રવેશ કરે તેની સાથે જ ત્યાં કેવા સ્વભાવવાળા લોકો નિવાસ કરે છે તે જાણી શકાય છે. શુભ ભાવનાઓ ધરાવતા લોકો રહેતા હોય તેવા મકાનમાં પ્રવેશ કરવાથી એક પ્રકારની શાંતિ અને શીતળતાનો અનુભવ થાય છે. એથી ઊલટું, જે સ્થાનમાં દુષ્ટ વિચાર ધરાવતા લોકો વસવાટ કરે છે તેવા સ્થળમાં પ્રવેશ કરતાની સાથે આપણા વિચારોમાં પણ કચવાટ અનુભવાય છે.

મનુષ્યના શરીરમાં પડેલી અદ્ભુત શક્તિ અંગે સંશોધનો કરનાર ડો.ગોપીનાથ કવિરાજ કહે છે કે મનુષ્યના શરીરના એક-એક કણમાં એટલી શક્તિ ભરેલી પડી છે કે તે એક સ્વતંત્ર સૃષ્ટિનું સર્જન કરી શકે. જો આવા કોઇપણ કણને અવસર મળી જાય તો પોતાના પૂર્વરૂપની ભૂમિકામાં એક સ્વતંત્ર અવ્યક્ત સૃષ્ટિનું સર્જન કરી શકે. એક કણમાંથી એક અવ્યક્તરૂપ બની શકે છે. ડો.ગોપીનાથ માને છે કે કોઇ મૃત વ્યક્તિ, અન્યત્ર ફરી જન્મ લઇ લીધા પછી પણ, જો તેના કોઇ અગાઉના કણ જાગૃત બની જાય તો તે પ્રગટ અથવા પ્રત્યક્ષ પૂર્વરૂપમાં બની શકે છે. કોઇ મૃત વ્યક્તિનાં થોડાંક વિદ્યુત પરમાણુ જો પુન: જાગૃત બની જાય તો એક સ્વતંત્ર સૃષ્ટિનું નિર્માણ કરી શકે છે.

વિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવેલાં પરીક્ષણોથી એવું જાણવા મળ્યું છે કે વાયુ(પવન)ની સાથે આકાશીય વિદ્યુતની એક ધારા પણ નિરંતર પ્રવાહિત થયા કરે છે. લગભગ દુનિયામાં દરેક દેશોમાં ઘરેણાં પહેરવાનો રિવાજ છે. ધાતુઓમાં અવકાશી વિદ્યુતને આકર્ષવાની ક્ષમતા રહેલી છે. અવકાશી વિદ્યુત મનુષ્યના શરીરને પોષણક્ષમ હોય છે. લોખંડ, પિત્તળ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓનું મૂલ્ય ઓછું અંકાય છે. જ્યારે સોના, ચાંદી જેવી ધાતુઓનું મૂલ્ય વધુ જોવા મળે છે, તેનું એક કારણ આ અવકાશી વિદ્યુતને ગ્રહણ કરવાની ક્ષમતાને કારણે છે. સોનું અને ચાંદી આકાશમાં રહેલી સૂક્ષ્મ વીજશક્તિને વધારે આકર્ષિત કરે છે. ચાંદી દ્વારા શીતળતા, ગંભીરતા અને મંદતા ઉત્પન્ન થાય છે. સોનું ઉત્સાહ, તેજ અને ચમક આપે છે. ધાતુઓ દ્વારા આકાશમાંથી ઉપયોગી વીજશક્તિ આકર્ષિત થાય છે જે પહેરનારના શરીરમાં પ્રવેશી તેને લાભકારી ફળ આપે છે. આના કારણે માત્ર સૌંદર્ય જ નહીં, સ્વાસ્થ્યની પણ વૃદ્ધિ થાય છે. તાંબુ પણ સોનાની જેમ જ ગુણકારી છે. છાતી, હૃદય અને કંઠની આસપાસ ઘરેણાં પહેરવાથી હૃદયને બળ મળે છે. કાનની નીચેના ભાગમાં જ ઘરેણાં પહેરવામાં આવે છે. કાનની ઉપરના ભાગમાં પહેરવાથી તેનો સંપર્ક મગજની માંસપેશીઓ સાથે થાય છે અને તેના કારણે ચિત્તમાં ચંચળતા વધી જાય છે.

અવકાશી વિદ્યુત અમુક નિશ્ચિત માત્રામાં જ શરીર માટે ઉપયોગી છે. તેની વધુ પડતી માત્રા અનિદ્રા, રક્તપિત્ત, ઉન્માદ જેવી બીમારીનું કારણ પણ બની શકે છે. કપડાં આમ તો નિર્જીવ વસ્તુ છે પરંતુ તે શરીર સાથે વધુ વખત સંસર્ગમાં રહેતા હોવાથી વ્યક્તિના સ્વભાવની અસરથી કપડા પણ પ્રભાવિત થાય છે. કોઇનાં પહેરેલાં કપડાં પહેરવાથી તેની સ્વભાવગત અસર પહેરનાર ઉપર પડે છે.

શારીરિક ચેપ અને માનસિક બંને રીતે આવા કપડાની અસર થતી હોય છે. રેશમી અને ઊનનાં વસ્ત્રો ઉપર આવો પ્રભાવ ઓછો જોવા મળે છે. આ કારણસર પૂજાવિધિમાં એકબીજાના સંસર્ગની અસર સાધના ઉપર થાય નહીં તેની કાળજી રાખવા માટે ઊનના અને રેશમી વસ્ત્રોનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્ત્રોને વારંવાર ધોવાને બદલે સૂર્યના તડકામાં સૂકવી દેવાથી પણ સંસર્ગજન્ય દોષો અને વૈચારિક પ્રભાવની અસર રહેતી નથી.

વ્યક્તિના સ્વભાવની અસર આજુબાજુના વાતાવરણ ઉપર થતી હોવાથી ધર્મના નામે આ વૈજ્ઞાનિક અસરોને વણી લઇને વ્યક્તિની માનસિકતાના આધારે તે ઉન્નતિ અને પ્રગતિના માર્ગે અગ્રેસર બને તેવી ઉચ્ચ ભાવના છૂપાયેલી છે. ઉચ્ચ સાધના કરનારા મહાપુરુષોના સંસર્ગમાં રહેવાથી વ્યક્તિને જે અદ્ભુત અનુભૂતિ થાય છે, તેની પાછળ પણ આ સૂક્ષ્મ વિજ્ઞાન છૂપાયેલું છે.

- રોહિત આર. દવે
Source: http://navgujaratsamay.indiatimes.com/  Jun 16, 2014,

No comments: